જવાહર બક્ષી ~ તારા જવાનું મને

🥀 🥀

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.

~ જવાહર બક્ષી

ગઝલમાં ‘રે લોલ’ આવી શકે ? એ સવાલનો કેટલો સુંદર જવાબ આ એક સશક્ત કલમ પાસેથી મળે છે !  

વિરહની રજૂઆત ચોટદાર છે અને ‘રે લોલ’નો લય આખી ગઝલમાં પ્રાણ પૂરે છે.  

8 thoughts on “જવાહર બક્ષી ~ તારા જવાનું મને”

  1. Kirtichandra Shah

    Akelta no rasto same mare; kale barafno suraj ugshe! Wah wah Sunder Dhanyvad

  2. દિલીપ જોશી

    રે લોલ. રદ્દીફ કદાચ સૌ પ્રથમ વખત પ્રયોજવાનું માન કવિ શ્રી જવાહર બક્ષીને મળ્યું છે .લોકઢાળનો લય પ્રેરક હિલ્લોળ અહીં વિષાદને દ્વિગુણિત કરવામાં ઉપકારક રહ્યો છે.ગઝલનો રદ્દીફ કવિએ અહીં,ફરી,સખી,કે એવા ભાવનો કોઈ પણ શબ્દનો રાખ્યો હોત તો પણ ગઝલ તો સરસ જ બની હોત.પણ કવિ એ અહીં રે લોલ..જેવો
    લયનો લસરકો મારી વિષાદના વર્તુળને ભાવકની સામે પુનઃ પુનઃ ઘુંટ્યું છે.આ જ કવિની મોટામાં મોટી ખૂબી છે. બહોત ખૂબ.

  3. Varij Luhar

    રે લોલ.. વાળી ગઝલ ખૂબ સરસ છે રે લોલ

  4. આદરણીય કવિ જવાહર બક્ષીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આ ગઝલની જેમ એમણે ઘણા નવા નવા પ્રયોગો કર્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *