મડિયાના સોનેટ ~ નિરંજન ભગત

મડિયાનાં સૉનેટ  

‘મડિયા, તમે બધું લખી શકશો, સૉનેટ નહીં લખી શકો.’ બલ્લુકાકા (બ.ક.ઠાકોર)એ મડિયાને કહ્યું, મારી હાજરીમાં. સમય ૧૯૫૧, સ્થળ ૩૪, ચોપાટી રોડ, મુંબઈ. મડિયાએ એમની મહાકાય નવલકથા ‘ઈંધણ ઓછાં પડ્યાં’ અને એની પુરોગામી ‘પાવક જવાળા’ – બલ્લુકાકાને ભેટ આપી હતી એનું વાચન બલ્લુકાકા કરતા હતા એવામાં મડિયા અને હું સાથે એમને મળ્યા ત્યારે વાતચીતમાં બલ્લુકાકાએ નવલકથાનું કદ ધ્યાનમાં રાખીને મડિયાને આ આહ્વાન આપ્યું. ત્રણેક વર્ષમાં તો મડિયાએ આ મુરબ્બી મિત્રનું, આપણા સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ સૉનેટકારનું, આહ્વાન સ્વીકારીને ૧૯૫૪થી ૧૯૫૮નાં પાંચ વર્ષમાં ૨૦ સૉનેટ રચીને એનો આવડ્યો એવો અને એટલો ઉત્તર આપ્યો. ૧૯૫૨માં બલ્લુકાકાનું મૃત્યુ થયું પણ કલ્પો કે બલ્લુકાકા વિદ્યમાન હોત અને એમણે આ ૨૦ સૉનેટ વાંચ્યાં હોત તો એમને શું થયું હોત? એમણે શું કહ્યું હોત ? એમણે એમનું આહ્વાન પાછું વાળ્યું હોત ? પણ આપણે આપણી આ કલ્પના પાછી વાળીને એટલું કહીએ કે આ ૨૦ સૉનેટ એક અર્થમાં મડિયાની એમના મુરબ્બી મિત્રને અંજલિ છે. આ 20 સૉનેટનો સંગ્રહ 1959માં ‘સૉનેટ’ને નામે પ્રગટ થયો.

~ નિરંજન ભગત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *