જયંતીલાલ દવે ‘વિશ્વરથ’ ~ તરસને ઝાંઝવાંના * Jayantilal Dave

તેજ અંબારે નજર લાગી

તરસને ઝાંઝવાંના એક અણસારે નજર લાગી;
વિરહને ચાંદનીના સોળ શણગારે નજર લાગી.

કમળને સાંધ્યના રંગીન અંધારે નજર લાગી;
કુમુદને પણ ઉષાના તેજ—અંબારે નજર લાગી.

નજર લાગી હજારો વાર હળવાં ફૂલ હૈયાંને;
કહો પાષાણ દિલને કોઈની ક્યારે નજર લાગી?

ચકોરીએ નજર ઊંચી કરીને મીટ માંડી, ત્યાં—
શશીની પાંપણોના રમ્ય પલકારે નજર લાગી.

અમારી નાવડીની કમનસીબી શી કહું તમને?
બચી મઝધારથી તો છેક ઓવારે નજર લાગી.

પ્રથમ ઉપચાર હું કોનો કરું, સમજાવશો કોઈ?
હૃદયને આંખડી બન્નેયને હારે નજર લાગી.

લથડિયું ખાઈને આકાશથી ગબડી પડ્યો તારો;
ધરા પરથી શું એને કોઈની ભારે નજર લાગી?

દિવાનો ‘વિશ્વરથ’ ઘૂમી વળ્યો નવખંડમાં, તો પણ –
નથી એને સફરમાં ક્યાંય તલભારે નજર લાગી.

~ જયંતીલાલ દવે ‘વિશ્વરથ’ ( 30.12.1910 – 5.1.1980)

કાવ્યસંગ્રહો : ‘સંજીવની’, ‘મલયાનિલ’, ‘પ્રેરણાના પુષ્પો’

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    કવિની સ્મૃતિઓને વંદન. સૌંદર્ય પ્રવાહ જેમ વહેતી ગઝલ જાણે નજર લાગી જાય તેવી.

  2. ઉમેશ જોષી says:

    સકળ શે’ર હ્રદયગમ્ય..

  3. કવિ ‘વિષ્વરથ’ને ક્યારેય નરવખંડમાં ફરે છતાં નજર ના‌ લાગી. અદ્ભૂત ભાવ રચાયો છે.

  4. ખુબ ખુબ માણવા લાયક રચના ખુબ ગમી સ્મ્રુતિવંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: