જયેન્દ્ર શેખડીવાળા ~ ઝૂરણ મરશિયો * Jayendra Shekhadiwala
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણી સેર રે
વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂહુક કાળી ગાયકા રે
તમને અમાસો જમાડું અંધારઘેર રે
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
અમને ખભે લૈ ઉભી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપર પેર રે
તમને ટહુકા પહેરાવું હાથણીભેર રે
~ જયેન્દ્ર શેખડીવાળા
કવિએ શીર્ષક આપ્યું છે એટલે આપણને આ ગીત ખોલવામાં થોડી સરળતા રહે છે. કવિએ ગીત ખોલવાના પગથિયાં આપ્યા છે ..જેના પરથી આપણે સમજી શકીએ છીએ કે કોઈની ગેરહાજરીમાં કાવ્ય નાયકનો વિલાપ અહીં અનુભવી શકાય છે.
તમને સુરીલા ટહુકા અમાપ માત્રામાં પહેરાવું.. તમને તમારી વાણીની સરવાણી પાછી આપું.. તમે મરીને મૌન થઈ ગયા છો એટલે તમને વાણી આપુ..
તમારી વાતો એક વાયકા થઈ ને બધે ગવાઈ રહી છે. અમને તમારો કોયલ જેવો સ્વર યાદ આવે છે. જો તમને એવું અંધારું પ્રિય હોય તો એ તમને હું આપીશ. હવે અમારાથી આ વિલાપ સહન નથી થતો.. મન પણ હવે થાકી ગયું છે. મનના દૂર્ગની કાંકરીઓ હવે ખરવા લાગી છે. હવે તો અમારો ટેકો પણ જીર્ણ થઇ ગયો છે.. તમે પાછા આવો. તમને પીપરની જેમ પાછા મારા જીવનના એક એક ધબકારા માં પ્રોવી લઉં..પણ તમે ..તમે..
કોઈ સ્વજનના મૃત્યુ પાછળનો આવો વિલાપ અહીં.. સાંભળી શકાય છે.કવિ શ્રી જયેન્દ્ર શેખડીવાળાને અભિનંદન
~ દિલીપ જોશી
ખુબ સરસ કાવ્ય અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક અભિનંદન
ઝૂરણ મરશિયો.. અને આસ્વાદ ખૂબ સરસ
ખૂબ સરસ મરસ મરશિયો, વેદના સરસ અભિવ્યક્ત થઈ છે.
ગીત મજાનું… આસ્વાદ ગીતની કેટલીક પરત ઉઘાડી આપવામાં મદદરૂપ પણ થાય છે અને ક્યાંક વળી ગીતના રસાસ્વાદમાં બાધા પણ બને છે.
શ્રી શેખડીવાળાનુ ગીત ઝૂલણ મરશિયો ઘણી ગૂઢ તેની બાની,
તેને ઉકેલવું અઘરું પડે…પણ તેનાં ઉપરનો શ્રી દિલીપ જોષીનો આસ્વાદ ગીતનાં મર્મ સુધી ડૂબકી મારી ભાવકને ઝકઝોર કરી દે છે…આભાર લતાબેન….. આને દિલીપભાઈ….!
આનંદ આનંદ સુરેશભાઈ