મનોજ ખંડેરિયા ~ વરસોનાં વરસ લાગે * Manoj Khanderiya
ક્ષણોને તોડવા બેસું ~ મનોજ ખંડેરિયા
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)
કાવ્યપ્રેમીઓના હૃદયે વસી ગયેલી આ ગઝલ.
કવિના જન્મદિને સ્મૃતિવંદના
OP 6.7.22
***
સાજ મેવાડા
06-07-2022
ખૂબ જાણીતી અને વખણાયેલી ગઝલ. છેલ્લો શેર બેનમૂન.
છબીલભાઈ ત્રિવેદી
06-07-2022
મનોજભાઈ ના જન્મદિને તેની સરસ રચના આભાર લતાબેન
પ્રતિભાવો