ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ એકધારું તાકતા Gulam Abbas
એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,
માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.
આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.
ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.
ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.
આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.
મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
ઉદાસીના કારણ આપી શકાય. કવિ જ ઉદાસીના પ્રમાણ આપવા ઈચ્છે ! વાહ …
કવિને પંચોતેરમા જન્મદિવસે આદરવંદન .
વડોદરાના વરિષ્ઠ કવિ- શાયર, સાહિત્યકાર, નાશાદ સાહેબ, વેદના, અભાવ અને દર્દની અભિવ્યક્તિ ખૂબ જ સરસ રીતે એમની ગઝલોમાં કરે છે.