પ્રણવ ઠાકર ~ અગનમાં ભળી જઉં

તમે જો કહો તો

અગનમાં ભળી જઉં તમે જો કહો તો,
સૂરજ સો ગળી જઉં તમે જો કહો તો.

તમારાં જ નામે ધબકતું હૃદય  છે,                                   
હું પાછો વળી જઉં તમે જો કહો તો.

ભલે આમ તો લાગું વજ્જર સરીખો,
સહજ ઓગળી જઉં તમે જો કહો તો.

ગગન મધ્યમાં ભાનુ તપતો ભલે હો,
પળમાં ઢળી જઉં તમે જો કહો તો.

નથી વાત સ્હેલી સમજવી અગમની,
ઈશારા કળી જઉં તમે જો કહો તો.

ગમે તે સમયમાં, ગમે તે સ્વરૂપે,
ગમે ત્યાં મળી જઉં તમે જો કહો તો.

‘પ્રણવ’ માર્ગ જો ઘોર અંધાર લાગે,
તરત ઝળહળી જઉં તમે જો કહો તો.

 ~ પ્રણવ ઠાકર

‘તમે જો કહો તો’  

પ્રિયા માટે કંઈ પણ કરી શકવાની, કરી છૂટવાની ભાવનાનાં ગીતો, ગઝલ, સોનેટ અને અછાંદસ પણ કેટલાં લખાયાં હશે! અને તોયે દરેકમાં કંઈક અલગપણું મળી તો રહે…. એ માનવીની તાકાત તો ક્યાંથી હોય ? તાકાત પ્રેમની…. એ જાનફેસાનીના ભાવની….

8 thoughts on “પ્રણવ ઠાકર ~ અગનમાં ભળી જઉં”

  1. જુદી જુદી રીતે પ્રિયજન માટે ત્યાગની વાત સરસ કરી છે.

  2. દિપકવ્યાસ 'સાગર'

    વાહ ડો. સાહેબ અદ્ભૂત રચના…….. 👌🏽👌🏽

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *