🥀 🥀
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
કવિતા હૃદયમાંથી અવતરે છે. એ ભણતર કે ડિગ્રીની મોહતાજ નથી. જરીક અમથું ભણતર અને જીવવા માટે સંચાનો સહારો પણ સિલાઈ કરતી આંગળીઓના ટેરવે કવિતાનું પ્રાગટ્ય કેવું !
ગુજરાતીના એક ધરખમ ગઝલકાર ગની દહીંવાલાની આજે પૂણ્યતિથી અને આ ગઝલ ‘કાવ્યવિશ્વ’ને અજવાળશે.
‘દિવસો જુદાઈના જાય છે’ – આ એક ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાય અને જગજીતસિહના અવાજમાં સાંભળો.
અદભૂત સ્વરના માલિક શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને વંદન સહ અલવિદા (11.12.2024)
5.3.21
કાવ્ય : ગની દહીંવાલા સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, જગજિતસિંહ
*****
Parul Nayak
13-04-2021
વચ્ચેનાં બે શેર પહેલીવાર વાંચવા મળ્યા, હજી પાથરી ===જીવન સુધી, વાહહહહ!
સુરેશ’ચંદ્ર’ રાવલ
13-04-2021
વાહ… લતાબેન…!
“દિવસો જુદાઈના…” એ ગઝલમાં શ્રી ગનીજીએ જે ચોટ આપી છે…તે વિરહીજનોના હ્દયમાં હજું પણ અકબંધ છે…રફી સાહેબનો મધુર કંઠ , પુરૂષોત્તમ ઉપાધ્યાય ની ત્રિબંધી સોનામાં સુગંધ બંને છે… બાકીનાં કાવ્યો પણ ખૂબ ગમ્યાં…ખૂબ આભાર…!
Harshad Dave
13-04-2021
વાહ…દિવસો જુદાઈના જાય છે…
છબીલભાઈ ત્રિવેદી
13-04-2021
દિવસો જુદાઈ ના જાય છે ખુબ સરસ રચના ગની સાહેબ ની કવિતા હદય માથી પ્રગટે છે મિરા નરસિંહ કયા ભણેલા હતા, ખુબજ સરસ લતાબેન, અભિનંદન

ગની દહીંવાલા અને પુરુષોત્તમ ઉપાધ્યાયની દિવ્ય ચેતનાને વંદના.
ગુજરાતી સાહિત્યની શિરમોર ગઝલ, 👌👌👌🌹🌹🌹
આ ગઝલ કંઈ કેટલીય વાર સાંભળી છે, અદ્ભૂત ગઝલ, ગાયન. દિવંગતો ને સ્મૃતિ વંદન.