સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.
છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.
ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.
હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.
મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.
~ વજેસિંહ પારગી
કાવ્યમાં જાણે હૃદય ઠલવાયું છે….

વાહ… અર્ધી પંક્તિમાં નિચોડ.. અદભૂત
આભાર.
સકળ શે’ર મર્મજ્ઞ હ્રદયસ્પર્શી છે.
દર્દ પીડા હ્રદય સ્પર્શી છે, સ્મૃતિ વંદન.