કૃષ્ણ દવે ~ રખે શબરીની આંખને * Krushna Dave
રામ નથી ફાવતા !
રખે શબરીની આંખને ભીંજાવતા !
એમ ક્યો ને કે બોર નથી ભાવતા.
ખરે ટાણે ક્યો છો કે નથી આવતા !
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.
ઘરમાં બંધાયો હોય માંડવો ને ફઇ
અને ફુવાને જેમ પડે વાંકું !
એમ જ પ્હેરામણીની સાડીમાંથી‘ય તમે
ગોતી કાઢો છો એક ફાકું !
પીત્ઝા ને રોટલામાં શું છે તફાવત એ
કોઇ નથી તમને સમજાવતા ?
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.
કમળો થઈ ગ્યા નું તો એક જ છે દુઃખ
ઈ તો જોવે ત્યાં પીળુ દેખાય,
સદીઓથી વાવેલી ઊગે પ્રતીક્ષા તો
પાંપણથી એને પોંખાય.
રોમ રોમ રમતાં આ રામજીના ઉત્સવમાં
જો જો ના રોડા પધરાવતા.
એમ ક્યો ને કે રામ નથી ફાવતા.
~ કૃષ્ણ દવે (તા-11-1-2024)
સાંપ્રત પરિસ્થિતી પર અખબારી ઝડપે અને કાવ્યત્વની શરતે સચોટ કટાક્ષ-વ્યંગ્ય ભરેલી કવિતા આપવામાં કૃષ્ણ દવેનો જવાબ નથી !
આખો દેશ જ્યારે ભગવાન શ્રી રામના પ્રાગટયને વધાવી રહ્યો છે….. ત્યારે આડા લોકોને સીધા વિચાર ક્યાંથી આવે ? નરી નેગેટીવીટી
જેમનામાં ભરી હોય એ ચેતનાના દીપને પ્રગટતો ક્યાંથી જોઈ શકે ?
સબકો સન્મતિ દે ભગવાન !
વાહ સરસ વાસ્તવિક રચના.
કૃષ્ણ દવે માટે લય એટલો સહજ સિદ્ધ છે કે આપણી દરેક વાતને એ પદ્યમાં ફેરવી શકે છે.
વાહ કવિ શ્રી ને ખુબ અભિનંદન
સામ્પ્રત નેં ઉજાગર કરતા કવિ શ્રી કૃષ્ણ દવે ની સરસ રચના. જય શ્રી રામ!
કૃષ્ણ દવે આધુનિક યુગના અખા સોની છે એમ કહી શકાય.
અખબારી ઝડપે અને કાવ્યતવની શરતે…..this is a perfect statement.
ખુબ સરસ રચના 👌🏽👌🏽👌🏽
કૃષ્ણ દવે એમની આગવી અને સરળ શૈલી માટે જાણીતા છે. આ કાવ્યમાં વાસ્તવિક ચિત્ર રજૂ થયું છે.
કૃષ્ણ દવેની મજાની રચના.