મકરંદ દવે ~ તમે જેને Makarand Dave
તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.
આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.
ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિશ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે.
– મકરંદ દવે
આરામગાહ… એટલે વિસામો. અને અહીં જેની વાત થઇ રહી છે એ કોઈ સામાન્ય વિસામો નથી, એ છે આત્મની આરામગાહ. અને એ પણ વળી કેવા આત્મની આરામગાહ તો કહે… ઉજ્જવળ તમારા આત્મની આરામગાહ.
તમે જેને ચાહો છો એ આજે ભલે તમને ન ચાહે, તમે જેને આજે ચાહો છો એ કદાચ તમારા પથ પણ તમારી સાથે ચાલવા તૈયાર ન થાય એવું પણ બને, પણ ક્યારેક એને કોઈ એવા સંજોગો આવશે કે ક્યાંય ઠરવા ઠામ નહિ હોય તો એ જરૂર તમારા સુંદર આત્માને વિસામે આવીને એનો થાક ઉતારશે.
ખુબ સરળ ભાષા, અને પ્રેમની સાર્થકતાની… સાચી ઊંચાઇની વાત… ઓછામાં ઓછા શબ્દોમાં કેટલું કહેતું હોય છે કાવ્ય! – મીનાક્ષી ચંદારાણા
15.2.21
Kirti shah
13-04-2021
મકરંદભાઇ ની કવિતા વાંચી શાતા મળી
પ્રતિભાવો