નિનાદ અધ્યારુ ~ એટલું માંગી લીધું

વરદાનમાં

એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !

આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !

એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !

સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !

જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !

ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !

આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !

ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?

યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.

~ નિનાદ અધ્યારુ

દરેક શેર શેરીયતથી ભર્યો ભર્યો ! સર્જકતાથી સભર ! મુસલ્લ્સલ ગઝલ વિશે લખવાનું સહેલું પડે કેમ કે એક ભાવ સળંગ વહેતો હોય. જ્યાં દરેક શેર જુદું જ વિશ્વ લઈને આવતો હોય ત્યાં લખવું હોય તો દરેક શેરનું ભાવવિશ્વ આલેખવું પડે. પણ ‘કાવ્યવિશ્વ’નો ભાવક એકદમ સજ્જ છે. ખુશ થઈને ‘વાહ’ કહી જ ઉઠશે.  

9 thoughts on “નિનાદ અધ્યારુ ~ એટલું માંગી લીધું”

  1. Kirtichandra Shah

    બને ગઝલ સુંદર છે મનોરમ્ય છે અમારા ધન્યવાદ

  2. નિનાદ અધ્યારુ

    હૃદયપૂર્વક આભાર કાવ્યવિશ્વ અને લતાબેન હિરાણી અને સુજ્ઞ ભાવકો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *