દિનેશ ડોંગરે ‘નાદાન’ ~ ધીમે ધીમે
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા ,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા .
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે ,
છે શરત એકજ ભીતરથી શુદ્ધ થા .
સામનો કર હાલમાં સંજોગનો ,
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા .
તું નરોવા કુંજરોવા કર નહીં ,
મારી સાથે કાં પછી વિરુદ્ધ થા .
એ બહુ નુકશાન કરશે જાતને ,
તું નજીવા કારણે ના કૃદ્ધ થા .
એ જ તો “ નાદાન ” અંતિમ ધ્યેય છે
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા .
~ દિનેશ ડોંગરે ‘નાદાન’
કવિની આ ગઝલ એટલી દમદાર છે કે ભાવકને તરત ગમી થાય અને જો નામ વગર મળી તો એ કોઈપણ જાણીતા કવિના નામે ચડાવી દઈ શકે ! દિનેશભાઈની આ ગઝલ સાથે એવું જ થયું છે. ઝવેરચંદ મેઘાણીના નામે અનેક વાર એ મારી પાસે આવી છે અને એટલી જ વાર મેં મોકલનારને કવિનું નામ જણાવીને માહિતી સુધારી લેવા કહ્યું છે. પણ આવી બાબત કવિની કવિતાને એક મુગટ જરૂર પહેરાવે છે.
19.3.21
*****
બકુલેશ દેસાઇ
13-04-2021
દિનેશ ડોંગરેજી ની સરસ ગઝલનો સરસ આસ્વાદ..ધન્યવાદ
કિશોર બારોટ
13-04-2021
નાદાન સાહેબની અમર રચનાને ફરી એકવાર માણવાની મોજ આવી.
કવિને વંદન ?
Purushottam Mevada, Saaj
13-04-2021
વાહ નાદાનજી, તમારી આ ગઝર વિશ્વ ફલક પર ચા પૂનમના ચાંદ જેમ ચમકે છે. અભિનંદન.
પ્રફુલ્લ પંડ્યા
13-04-2021
આજે કાવ્ય વિશ્વ એ ફરીથી દિલનો કબ્જો લઈ લીધો.
શ્રી દિનેશ ડોંગરેજીની ગઝલ ” ધીમે-ધીમે વૃધ્ધિ પામી વૃધ્ધ થા” વૃધ્ધત્વથી બુધ્ધત્વ તરફની યાત્રા તરફ દોરી જતો એક પ્રેરક સંદેશો પૂરો પાડે છે.ગઝલના તમામ શે’રો અર્થપૂર્ણ છે.કવિની હ્દયશુધ્ધિ અને સરળતા સમગ્ર ગઝલમાં ધબકે છે.ગઝલ વાંચતા આવો અનુભવ ભાગ્યે જ થતો હોય છે.ડોગરેજી આવો અનુભવ કરાવે છે ! કવિશ્રીને હાર્દિક અભિનંદન !
પ્રતિભાવો