શેખાદમ આબુવાલા ~ દર્દ આપ * Shekhadam Aabuwala
દર્દ આપ મુજને એવું – શેખાદમ આબુવાલા
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.
એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.
એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.
~ શેખાદમ આબુવાલા
ગઝલમાં પાંચ કે સાત કે અગિયાર શેર હોવા જોઈએ એવું સામાન્ય રીતે મનાય છે પણ એ તો શાસ્ત્ર થયું ! કવિતા પહેલાં આવે અને શાસ્ત્ર તો પછી રચાય…. સ્વર્ગમાં પણ જે પાપ કરવાની છૂટ માગે એવા ખુદ્દાર કવિ માટે કોઈ જ નિયમ ન હોય !
કવિ શેખાદમ આબુવાલાના જન્મદિને એમની સર્જનચેતનાને વંદન.
15.10.21
***
છબીલભાઈ ત્રિવેદી
16-10-2021
આજનુ શેખાદમ આબુવાલા સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું કાવ્ય મા માત્રા મેળ જરૂરી છે પણ ભાવ આગળ આ બધુ ગૌણ બની જાય છે તેમના જન્મદિવસે વંદન આભાર લતાબેન
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
15-10-2021
શેખાદમની આ ગઝલ એમના બિનધાસ્ત શાયર, વ્યક્તિત્વની પહેચાન છે. એ ખુદ્દાર અને નેકદિલ આદમી હતા. હાર્દિક શ્રધ્ધાંજલિ.
મયૂર કોલડિયા
15-10-2021
વાહ…. વાહ…. મસ્ત ગઝલ….
પ્રતિભાવો