ધૂની માંડલિયા ~ આકાશને ક્યાં
આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,
જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે…
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે…
ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,
જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે…
રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,
સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે…
મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,
આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે…
આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,
બાકી જગતની વેદના અસહ્ય હોય છે… – ધૂની માંડલિયા
વૈજ્ઞાનિકો ભલે કહે કે આકાશ જેવું કંઇ નથી, આપણા માટે તો આકાશ આ સૃષ્ટિનું આદિ, મધ્ય, અંત છે, કહો કે એ જ સત્ય છે. આકાશ ઈશ્વરે આપેલી વિશાળ છત છે. અહીં કવિએ નિરાકાર આકાશને નિરાકાર ઈશ્વર કે સત્ય સાથે જોડી કમાલ કરી છે. ક્યારેક ખુલ્લી આંખ કશે ન લઈ જાય તો બંધ આંખ કેટલી રમણા અને ભ્રમણા ફેલાવે !
ત્રીજા શેરની કઠણ વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટકો નથી – જાતમાં ઝાંકવું સહેલું નથી જ. આપણે પોતે સર્જેલી અસંખ્ય દીવાલો….
12.11.21
*****
આભાર આપનો
15-11-2021
આભાર સરલાબેન.
Sarla Sutaria
14-11-2021
પોતાની જાતને જો જાણી લઈએ તો સઘળું સત્ય સમજાય જુ જ. ખૂબ ખૂબ સુંદર રચના કવિશ્રીની 🙏🏻
પ્રતિભાવો