મનહર મોદી ~ આંખો ખુલી * Manhar Modi
એકીકરણ થયું
આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.
બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.
ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.
પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.
ઊર્મિઓ એમાં પાય પખાળી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.
~ મનહર મોદી
બુદ્ધિને બાજુ પર બેસવા જ્યારે કહી શકાય ત્યારે હૃદયનું સામ્રાજ્ય એકાધિકારે સ્થપાય.
સમજણનો સૂર સંપૂર્ણ સધાય ત્યારે જ અક્કલની આવશ્યકતાનો અંત આવે.
અશ્રુનું ઝરણ થવું એ ચૈતન્યની ઘટના છે. અશ્રુની સ્થૂળતા છૂટે ત્યારે એ ઇશ્વરી વરદાન સમું ઝરણ બને, બની શકે ! કરુણાની ઉચ્ચતમ અવસ્થા જ…..
OP 23.3.22
છબીલભાઈ ત્રિવેદી
23-03-2022
વાહ આજે કવિ શ્રી મનહર મોદી ના જન્મદિવસ નિમિતે પાંચ કાવ્યો ખુબજ સરસ કવિ તો મિંડા ને પણ વિરાટ બનાવી શકે એટલે તો કવિને વિશિષ્ટ દરરજો મળેલ છે ખુબ ખુબ અભિનંદન
પ્રતિભાવો