જયાનંદ દવે ~ યદા પ્રણયની * Jayanand Dave
નથી કશી વિસાતમાં
યદા પ્રણયની પ્રભામય વિશિષ્ટતાઓ તણા
કશા તરવરાટથી જીવન મારું નહોતું ગુંજ્યું.
અને મિલનમૌગ્ધ્ય ને વિરહદાહ-બંને તણા
મીઠા-કટુ ન કૈં ય મેં અનુભવો લહ્યા’તા, અને
હજુ ઉરમહીં છુપ્પા સુભગ સૌમ્ય સંદેશને
તમે પ્રિયતમે! ન નેત્રપથથી હતા પાઠવ્યા
હતો બહુ સુખી તદા: જીવન સીધું સાદું હતું.
‘મળ્યા’-‘નવ-મળ્યા’ તણી ન લવલેશ ચિંતા હતી.
પરંતુ વિધિયોજના જુદી જ નીકળીઃ આપણે
અચાનક મળ્યાં; સહ્યાં સકળ સૂક્ષ્મ સંવેદનો.
નિરંતર નિગૂઢ સંવનનમગ્ન સાથે થયાં.
અને ઉભય આપણે ઉભય કાજ જીવી રહ્યાં!
છતાં પ્રિયતમ! સમસ્ત સુખભોગ સંસારના
નથી કશી વિસાતમાં પ્રણયજન્ય પીડા કને!
~ જયાનંદ દવે 25.10.1917
જન્મદિને વંદના
કાવ્યસંગ્રહ ‘મનોગત’ 1988
કવિના જન્મદિને વંદના
ખૂબ જ સરસ સોનેટ, પૃથ્વી છંદની મજા.