અરવિંદ બારોટ ~ પથારી સંકેલો
વીતી ગઈ છે રાત: પથારી સંકેલો !
પોકારે પરભાત: પથારી સંકેલો ……..
અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે,
રુંવે રુંવે રણઝણતું કો’ બીન બજાવે;
આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો …..
મોંસૂઝણાની વેળા થઈ છે:નેણાં ખોલો !
અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો !
પરદા ખૂલશે સાત: પથારી સંકેલો ….
બચકાં બાંધો: જાવું છે છેટાની વાટે ,
વાટ જુએ છે શામળિયો જમનાને ઘાટે;
ભેળી લેજો જાત: પથારી સંકેલો
– અરવિંદ બારોટ
કવિએ નિર્દેશ્યુ છે, – જાગી જવાનું ગીત, આને મોહનિન્દ્રામાંથી જાગવાનું ગીત કહી શકાય ? અંતિમ ઘડી આવે ત્યાં સુધી અંદર રહેલા આત્માની કોઈ ખેવના રાખ્યા વગર જંજાળોમાં જીવ્યે જતા માણસ માટે ! જાગૃતિની ક્ષણ કોઈનેય ક્યારેય પણ આવે, એ આવે એટલું જ મહત્વનું…
કવિ અરવિંદ બારોટ ખૂબ સારા ગાયક પણ છે. એમનું જ ગીત, એમનું જ સ્વરાંકન અને એમનો જ અવાજ…. સાંભળો.
3.4.21
કાવ્ય, સ્વરાંકન & સ્વર : અરવિંદ બારોટ
પ્રતિભાવો