રાજે – મોહનજી તમો મોરલા

મોહનજી તમો મોરલા, હું વારી રે
કાંઇ અમો ઢળકતી ઢેલ, આશ તમારી રે

જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે ;
ત્યાં અમો માંડીએ કાન, આશ તમારી રે

મોરપીંછ અમો માવજી, હું વારી રે
વહાલા વન વન વેર્યા કાંથ, આશ તમારી રે

પૂઠે પલાયાં આવીએ, હું વારી રે
તમો નાઠા ન ફરો નાથ, આશ તમારી રે

મોરલીએ મનડાં હાર્યા, હું વારી રે
વિસારયો ઘર-વહેવાર, આશ તમારી રે

સંગ સદા લાગી રાખજો, હું વારી રે
રાજેના રસિયા નાથ, આશ તમારી રે

-રાજે (ઇ.સ.18મી સદી પૂર્વાર્ધ)

રાજે ભાષાની દૃષ્ટિએ સમયથી આગળ એવો આધુનિક લાગે. આ મુસ્લિમ કવિએ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે. એમની કવિતા પર મહાનિબંધ લખાયો છે.

મૂળ પોસ્ટીંગ 25.10.2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *