રાજે – મોહનજી તમો મોરલા
મોહનજી તમો મોરલા, હું વારી રે
કાંઇ અમો ઢળકતી ઢેલ, આશ તમારી રે
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે ;
ત્યાં અમો માંડીએ કાન, આશ તમારી રે
મોરપીંછ અમો માવજી, હું વારી રે
વહાલા વન વન વેર્યા કાંથ, આશ તમારી રે
પૂઠે પલાયાં આવીએ, હું વારી રે
તમો નાઠા ન ફરો નાથ, આશ તમારી રે
મોરલીએ મનડાં હાર્યા, હું વારી રે
વિસારયો ઘર-વહેવાર, આશ તમારી રે
સંગ સદા લાગી રાખજો, હું વારી રે
રાજેના રસિયા નાથ, આશ તમારી રે
-રાજે (ઇ.સ.18મી સદી પૂર્વાર્ધ)
રાજે ભાષાની દૃષ્ટિએ સમયથી આગળ એવો આધુનિક લાગે. આ મુસ્લિમ કવિએ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે. એમની કવિતા પર મહાનિબંધ લખાયો છે.
મૂળ પોસ્ટીંગ 25.10.2020
પ્રતિભાવો