ધીરુ પરીખ ~ મિત્રો આપણે * Dhiru Parikh
મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?
આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?
કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
~ ધીરુ પરીખ
જે દિલથી નીકળે એ શબ્દો સીધા હૃદયસોંસરવા ઉતરે. બહુ ઓછી કવિતાઓ આવી હોય છે. એમાંની આ એક. કવિ શ્રી ધીરુભાઈ પરીખની સ્મૃતિને વંદન.
OP 31.8.22
***
આભાર
04-09-2022
આભાર મેવાડાજી, વારિજભાઈ, મીનાબેન
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ સૌ મિત્રોનો આભાર.
Meena Jagdish
03-09-2022
`વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છેʼ એમ કહીને કવિ મિલન અને વિદાય….અને એ કારણે થતા વિષાદને સાવ જ નકારી કાઢે છે…..🙏🏻🙏🏻🙏🏻
સાજ મેવાડા
31-08-2022
વાહ, સરસ વિચારો
Varij Luhar
31-08-2022
શબ્દ દેહે ક્યારેય વિદાય નથી થવાના તેવા સર્જક આદરણીય શ્રી ધીરુભાઈ પરીખની દિવ્ય ચેતનાને વંદન 🙏🙏
પ્રતિભાવો