પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ~ પુષ્પા વ્યાસ

નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિ
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી.

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી
દીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી !

ઘંટી પાણી વાસીદું ને ચૂલો ઘરવખરી
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી !

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી
મેં તો વાવી જાર, ઊગ્યા મોતી ફાંટુ ભરી !

અણસમજીમાં જે કંઇ વાવ્યું, બાવળ કે બોરડી
પાછું વાળી જોઉં ત્યાં તો આંબા ને મંજરી !

પોથી પુસ્તક શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી
ઢાઇ અક્ષર ધાગો કાઢું, તેની તકલી ભરી !

આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી !

~ પુષ્પા વ્યાસ

આપણે ત્યાં હરિકાવ્યો ખૂબ લખાયા છે, એટલે સુધી કે કવિ ધીરુભાઈ પરીખે એવું કાવ્ય રચ્યું, ‘હરિ ચડ્યા હડફેટે’

પણ આજે આપણે એવું હરિકાવ્ય માણીએ કે જે રચયિતાએ રોમેરોમ અનુભવ્યું છે. પુષ્પાબહેન આપણા ખૂબ જાણીતા કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પણ એકદમ લો પ્રોફાઇલ એમનું વ્યક્તિત્વ. જુઓને આ આટલી સુંદર કવિતા મળ્યા પછી મને માંડ પુષ્પાબહેનનો પરિચય મળ્યો ! આખું ગીત એકદમ સરળતાથી પ્રવાહની જેમ વહ્યે જાય છે, ક્યાંય સહેજ પણ કૃતકતા નહીં. પોતાની દિનચર્યામાં હરિને કેવા વણી લીધા છે ! ‘આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી, પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી ! વાહ..

OP 30.8.22

***

આભાર

01-09-2022

આભાર મીનાબેન…. ઘણી બધી પોસ્ટમાં તમારી કોમેન્ટ છે.

કાવ્યવિશ્વ પર તમારું સ્વાગત છે.

Meena Jagdish

31-08-2022

નજર કરું ત્યાં નારાયણ….🙏🏻🙏🏻🙏🏻
કેટલાં સરળ શબ્દોમાં પોતાની નારાયણ પ્રત્યેની સંવેદના પ્રગટ કરી છે…👏👏👍
એવું લાગે કે ..હા, આ તો મારી જ ભાવભિવ્યક્તિ….🙏🏻🙏🏻🙏🏻

આભાર

31-08-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, રેખાબેન, કીર્તિચંદ્રજી, ઉમેશભાઈ..

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

સાજ મેવાડા

30-08-2022

હરિ પ્રેમની સ્ત્રીની ખૂબ સુંદર ભાવા ભરી સંવેદના,

છબીલભાઈ ત્રિવેદી

30-08-2022

ખુબ સરસ હરિગીત ખુબ માણવા લાયક રચના લો પ્રોફાઇલ વ્યકિત્વ જ આવા મધુર કાવ્યો આપી શકે ખુબ ખુબ આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

30-08-2022

પુષ્પાબેનની એકદમ હૃદય સ્પર્શી કવિતા…. હરિ ગીત. 💐💐🙏🙏

Kirtichandra sgsh

30-08-2022

કવિતા સુંદર છે અને લતાબેન નું વિવરણ પણ સુંદર છે ધન્યવાદ

ઉમેશ જોષી

30-08-2022

કવયિત્રિ પુષ્પાબેન વ્યાસની “નજરું કરું ત્યાં નારાયણ” રચના માણી..હરિકાવ્યનું પ્રાગટ્ય હરિશરણે ગયાં વગર થાય નહીં..પુષ્પાબેનની રચનાને વધાવું છું..વંદન કરું છું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: