રતિલાલ ‘અનિલ’ ~ સત્ય પણ * Ratilal Anil

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,
જાતની સાથે ઝગડવું જોઈએ !

બહારનાં સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઈએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઈએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઈએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઈએ !

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !
આળ જેવું કૈંક ચડવું જોઈએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઈએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન અનિલ
એક તક છે, કૈંક જડવું જોઈએ !

~ રતિલાલ અનિલ

6 Responses

  1. વાહ ખુબ સરસ રચના

  2. સરસ ગઝલ.

  3. Kirtichandra Shah says:

    ખાલીપાએ પણ ખખડવું જોઈએ ,…..સરસ સરસ

  4. Minal Oza says:

    ધૂળધોયા જીવનને કાંઈક પામવાની મથામણ કરતી સરસ ગઝલ છે.અભિનંદન.

  5. ઉમેશ જોષી says:

    સકળ શે’ર હ્રદયગમ્ય છે.

  6. માધવી says:

    વાહ..વાહ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: