નિસર્ગ આહીર ~ મારા શબ્દ * Nisarg Ahir
કહે ને ?
મારા શબ્દ તારા કર્ણ સુધી પહોંચતાં
કેમ ખોઈ બેસે છે પોતાનો અડધો અર્થ?
શુદ્ધ મારી નજરને ભૂંસી નાખી
ઝાંખાં કર્યા કરે દશ્યોને કોણ ?
પગ અને રસ્તા વચ્ચેનો અણબનાવ ગૂંચવે દિશાઓને,
ઈચ્છાઓને આકાર ન મળે,
આશાઓને આધાર ન મળે,
કશુંક તીવ્રપણે ધસી આવે આંગળીના ટેરવે
તો લિપિના વળાંકમાંથી છટકી જાય લેખનનું સત્ત્વ !
મને શંકા જાગે કેમ મારા હોવા વિશે ?
એમ લાગે કે તું શાંત ગંભીર ગહન નીર છો મારું
નિહાળું મારી હયાતીને તારામાં પ્રતિબિંબ રૂપે ને ત્યાં જ
પથ્થર ફેંકી જળમાં
તરંગિત વર્તુળોમાં વિખેરી નાખે છે કોણ મને ?
ઉત્તર તો એક જ છે
પણ પ્રશ્નો છે કેમ અનેક, કહે ને ?
~ નિસર્ગ આહીર
અનુભૂતિ અને અભિવ્યક્તિનું એકબીજામાં ઓગળવું…..
નિસર્ગ આહિર ની ખુબ સરસ રચના ખુબ ગમી
ખૂબ ઊંડાણને સ્પર્શી જતી રચના ખૂબ ગમી… અભિનંદન કવિશ્રી નિસર્ગભાઈને…
નિસગં આહિરની રચનાઓ ખૂબ ગમી કલા અને સ્થાપત્ય વિશેના એમના લેખો માતબર હોય છે
વાહ, જે અનુભવ થાય એનો જવાબ ના મળે.
ઉત્તમ રચના…..