ભગવતીકુમાર શર્મા ~ મારે રુદિયે * Bhagavatikumar Sharma * Prahar Vora
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.
– ભગવતીકુમાર શર્મા
એક શબ્દ પણ ઉચ્ચારવાનું મન ન થાય, માત્ર અનુભૂતિમાં સરી જવાય એવું કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ! શ્રી પ્રહર વોરાનું ગાન એવું જ અદભૂત !
4.8.21
***
Mahesh Dave
06-08-2021
ભગવતીકુમાર શર્માનાા શ્બ્દોને પ્રહર વોરાના કંઠે પ્રભાતના નિસિમ આકાશને ગુંજતું કરી દીધું. પવનની મંદ, મંદ ગતીએ વહેતી સ્વર રચના અને કાવ્યના શબ્દોને ઉઘાડતો પ્રહરનો સ્વર કાવ્યના અર્થ સૂધી પહોંચવાની યાત્રા સરળ બનાવી દીધી. કાવ્યવિશ્વનો આભાર.
Varij Luhar
05-08-2021
બીજી મેવાડની મીરાં… વાહ..
વંદન ?
Sarla Sutaria
04-08-2021
મનમાં જાણે કૃષ્ણની બંસીના સૂર રેલાઈ રહ્યા ???
રેખાબેન bhatt
04-08-2021
ખરેખર અનુભૂતિ માં સરી પડાય એવું ભાવવાહી. ?
છબીલભાઈ ત્રિવેદી
04-08-2021
આજનુ ભગવતીકુમાર શર્માજી નુ કાવ્ય ખુબજ સુન્દર આપે કહ્યું તેમ કાંઈ પણ લખ્યા વિના આ અદભૂત ગીત ને માણી શકાય પ્રણામ આભાર લતાબેન
કિશોર બારોટ
04-08-2021
ભગવતી કાકાની અમર રચના ફરી માણવા મળી તેનો રાજીપો.
પ્રતિભાવો