ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ ~ અમે કહ્યું કે
અમે કહ્યું કે અંધકારમાં : ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ
ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.
અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,
ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.
અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવું
ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.
અમે કહ્યું કે અટકી જઈશું એવી બીક સતાવે
ઝરણાએ મલકીને કીધું કરશું મઝા તળાવે.
અમે કહ્યું કે ઝરણાં તારી વાતોમાં છે દમ
ઝરણું કંઈ ન બોલ્યું તે તો વહ્યા કર્યું હરદમ. – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
જેને એકલતાના ડંખ લાગતા હોય એણે આ ગીત સવાર-સાંજ વાંચવું. મનમાં શીળી ઠંડક પ્રસરી જશે. લય ડોલાવી દે એ બોનસ. ‘ઝરણું’ શબ્દ જ એવો છે, મન ખળખળ થવા માંડે…. અને જળનો ગુણ જ છે શીતળતા ! ઝરણ વિશે કલ્પના કરીએ તો એ ગાતું, હસતું જ ભળાય… પણ અહીં કવિએ એની સાથે સંવાદ સાધીને સમ-વાદની સુગંધ પ્રસરાવી દીધી છે.. જાણે ઝરણું શબ્દોમાંથી ખસીને આપણી અંદર વહ્યું જાય….
26.10.21
***
Varij Luhar
27-10-2021
વાહ વાહ..ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ ની સુંદર રચના માણવા મળી
સાજ મેવાડા
26-10-2021
ખૂબ સરસ સકારાત્મક ઉર્જા આપે એવી રચના. ગમી.
છબીલભાઈ ત્રિવેદી
26-10-2021
આજનુ કાવ્ય ખુબજ સરસ ઝરણા ની પ્રક્રુતિ જ ખળ ખળ વહેવા ની છે ભરત જોષી સાહેબ ને અભિનંદન આભાર લતાબેન.
Meena Jagdish
23-09-2022
ગીતનો આસ્વાદ…👏👏👏👌🙏🏻
પ્રફુલ્લ પંડ્યા
20-09-2022
ખૂબ સુંદર ગીત : કવિશ્રી પાર્થ મહાબાહુને હાર્દિક અભિનંદન !
કિશોર બારોટ
20-09-2022
ભરત ભાઈના મને અતિ ગમતું કાવ્ય. 👌🏻
પ્રતિભાવો