અગન રાજ્યગુરુ ~ ગઝલ * Agan Rajyaguru
કોઈ આવીને
કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!
જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂછશે?
એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!
રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?
~ ‘અગન’ રાજ્યગુરુ
દરેક શેર ચોટદાર થયો છે. વાત જાણીતી લાગતી હોવા છતાં જુદી લાગે છે એ નોંધનીય.
‘કેમ છો’થી રાહત મળવી જોઈએ અને મળે એ સામાન્ય રીતે બને. અહીં આ સવાલથી કવિ કહે છે, હૃદય વધારે દુખશે…
‘સ્મિત કરો તો ખૂંચશે’ વાળો શેર લોકોમાં રહેલી ઇર્ષ્યાની ભાવનાને કેવી સરસ રીતે રજૂ કરે છે !
એમ શમણાં આંખમાં
એમ શમણાં આંખમાં અટકી ગયાં,
શ્વાસ જાણે શ્વાસમાં અટકી ગયા.
સાથમાં ચાલી શકાયું હોત પણ;
વાતમાં ને વાતમાં અટકી ગયા.
એક ઝટકે જીભ પર આવ્યા હતા;
શબ્દ સઘળા બાદમાં અટકી ગયા
હું સતત ચાલ્યાં કર્યો છું એ રીતે:
જેમ કે પગ રાહમાં અટકી ગયા.
આયનો ફૂટી ગયો તરડ્યા પછી;
બિંબ કિન્તુ કાચમાં અટકી ગયાં
ઠીક છે છોડો બધા એ વાયદા;
એ કહો, કઈ વાતમાં અટકી ગયા?
આંખથી ઓઝલ થયેલાં વાદળાં;
કયાંક તારી યાદમાં અટકી ગયાં.
ઝાંઝવાઓ જોઇને લાગ્યું ‘અગન’
કે અમે પણ પ્યાસમાં અટકી ગયા.
~ ‘અગન’ રાજ્યગુરુ
એવી જ સરસ બીજી ગઝલ
કવિ શ્રી અગમનો ગઝલો નોંખી ભાવાભક્તિ રજૂ કરે છે, આ બંને ગઝલો ટૂંકી બહેરમાં સુંદર રચાઈ છે.
ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન…💐🙏