જયા મહેતા ~ મંજૂર નથી
દીવાલોની પારનાં અજવાળાંને પામવાની
મથામણમાં
મારી ચીમની બુઝાવી નાખવી
મને મંજૂર નથી.
મને મંજૂર નથી
આ પાર કે તે પારની
સંતાકૂકડીની રમત
મારે માણવાં છે
આ પારની દુનિયાનાં બધાં સૂર્યોદય
બધાં સૂર્યાસ્ત
બધી આવનજાવન, દિવસ અને રાતની.
મારી નાનકડી ચીમનીની
જ્યોત નાનકડી
ટમટમતી
રાખવી છે મારે.
~ જયા મહેતા
આ કાવ્યને બે રીતે મૂલવી શકાય. એક દૃષ્ટિકોણ છે, જીવન પછીનું સ્વર્ગ મેળવવા આ જિંદગીને તરછોડવી. અને બીજો દૃષ્ટિકોણ છે, કાલ્પનિક સુખની પાછળ દોડવાને બદલે વાસ્તવિકતાને વધાવવી. જો વાત કાલ્પનિક સુખ એટલે કે મૃગજળની હોત તો ‘અજવાળાં’ શબ્દ ન વપરાયો હોત કેમ કે ‘દિવાલો પારનાં અજવાળાં’ કહીને અજવાળાંનાં અસ્તિત્વને સંમતિ તો આપી જ છે. જ્યારે મૃગજળને સંમતિ આપવાનો કોઇ સવાલ જ ન હોય!
નકારથી આરંભાતી હકારની આ કવિતા આ સંસારના જીવનને દૃઢપણે વધાવે છે. ‘દીવાલો પારનાં અજવાળાં’ – અહીં ‘અજવાળાં’ શબ્દ વાપર્યો છે એટલે કવિએ, ધર્મોએ બતાવેલ જીવન પછીની ગતિ – સ્વર્ગનું સુખ કે મોક્ષની કલ્પનાને નકારી નથી પણ એને ‘દીવાલની પાર’નું કહી એમાં પોતાની મર્યાદા જરૂર જાહેર કરી છે. એ સુખ હશે, અજવાળું હશે પણ એ દીવાલો પારનું છે. હું એને જાણતી નથી અને એટલે એ મારે કામનું નથી. સ્વર્ગ-નરક, કલ્પના હોય કે સત્ય, કોઇએ ત્યાંથી પાછાં આવીને એને પ્રમાણ્યાં નથી. કવિને વર્તમાનમાં વિશ્વાસ છે. એ અણજાણ દુનિયાને પામવા આ જીવનને શા માટે નકારવું ? કવિને એ મંજૂર નથી. નોંધપાત્ર એ છે કે પોતાની નામંજૂરી એણે મક્કમ રીતે શબ્દોમાં બેવડાવીને જાહેર કરી છે.
આદરણીય લતાજી આપે ખૂબ સરસ રીતે કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે.
આભાર મેવાડાજી
આપના આસ્વાદ થી કાવ્ય ખુબ માણવા લાયક બન્યું ખુબ ખુબ અભિનંદન સરસ મજાનું કાવ્ય
આભાર છબીલભાઈ