અમૃત કેશવ નાયક ~ આંખોથી વહે
આંખોથી વહે છે ધારા ~ અમૃત કેશવ નાયક
આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે!
તેજસ્વી ઘ૨ જોશે શું કોઈ તે સનમનું?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે!
ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું,
ફિર્યાદ કરું છું તો જિહ્વા અધર બળે છે!
મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વર્ના તમાશો જોશે કે કેમ નર બળે છે!
~ અમૃત કેશવ નાયક (14.4.1877-18.7.1907)
અમદાવાદના નિવાસી અમૃત કેશવ નાયક ધંધાદારી રંગભૂમિના ગીતકાર, નાટયકાર, દિગ્દર્શક, કવિ અને લેખક જેમનું ઉપનામ હતું ‘શિવશંભુ શર્માનો ચીકો’
શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની તેઓ પહેલ કરનાર હતા. તેઓ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા. તેમના નામ પરથી મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ખાદી ભંડારની પાછળ આવેલા માર્ગને ‘અમૃત કેશવ નાયક માર્ગ’ નામ આપવામાં આવ્યું છે.
અમૃત કેશવ નાયકની કૃતિઓમાં ગુજરાતી અને ઉર્દૂ ગઝલો, ‘ભારતદુર્દશા નાટક’ (1909), ‘કન્યાવિક્રયનો કહેર’ નાટક, ‘પ્રાણપરિવર્તન’ (ગુજરાતી ઉપરથી હિંદીમાં અનુવાદ), ‘મરિયમ’ (ઉર્દૂ ઉપરથી અનૂદિત કરેલ ગુજરાતીમાં સામાજિક નવલકથા), ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ?’ (નવલકથા, (1908)), ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ (રાજકીય કટાક્ષો), ‘નાદિરશાહ’ (અપૂર્ણ ઐતિહાસિક નવલકથા), ‘સંસ્કૃત તથા ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ (અપૂર્ણ) મુખ્ય છે.
કવિ અમૃત કેશવ નાયકની પૂણ્યતિથીએ આજે સ્મરણવંદના.
સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ
OP 18.7.22
***
આભાર
22-07-2022
આભાર છબીલભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
18-07-2022
બહુરત્ના વસુંધરા ખરેખર આપણી પાસે કેટલો અમૂલ્ય વારસો છે તે હવે કાવ્યવિશ્ર્વ દ્નારા સમજાય છે કવિ શ્રી ને વંદન આભાર લતાબેન
પ્રતિભાવો