લાભશંકર ઠાકર ~ અવાજને & ઓગળી ગયેલા * Labhashankar Thakar

અવાજને ખોદી શકાતો નથી

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી
તો
સફેદ હંસ જેવા આપણાં સપનાઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યુ છે તે ખરું
પણ એ ય શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

~ લાભશંકર ઠાકર (14.1.1935 – 6.1.2016)

‘મારા નામને દરવાજે’ કાવ્યસંગ્રહમાંથી

ભાઈ લઘરા

ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ
આવતી કાલે ઓગળી જવાનો છે.

અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?

~ લાભશંકર ઠાકર

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

2 Responses

  1. જન્મદિવસ પર સ્મ્રુતિવંદન

  2. એક અવિધિસર ના કવિ શ્રી લા.ઠા.ને સ્મૃતિ વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: