ભદ્રેશ વ્યાસ ‘વ્યાસ વાણી’ ~ હર મળેલી પળ

નવ્ય વરસની શુભકામનાઓ

હર મળેલી પળ ખરેખર વાપરીને,
જિંદગી જીવવા મળે જલસા કરીને.

સ્વસ્થતા સૌની રહે ઘરમાં તમારા,
સ્હેજ પણ જગ્યા મળે ના ચાકરીને.

હેમવર્ણા થાય ઘરના કાંગરાઓ,
વિસ્તરે ઘર અંબરે ઘરને વરીને.

એટલો અજવાશ કોળે આપ સૌમાં,
ભીતરે ના થાય અંધારું ફરીને.

માગવું જન્મે ન મનના કોઈ ખૂણે,
કોઇને જીવવું પડે ના કરગરીને.

આપણી વચ્ચે વધે સૌહાર્દ કાયમ,
ક્યાંય ના જગ્યા મળે બંદૂક છરીને.

લેશ ના બાકી રહે મનની મનીષા,
ના જવાનું થાય અધવચ્ચે મરીને.

જે તમે ચાહો મળે આ નવ્ય વર્ષે,
મોકલું શુભકામના ખોબો ભરીને.

~ ભદ્રેશ વ્યાસ”વ્યાસ વાણી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *