ખલીલ ધનતેજવી ~ કવિતાનો જન્મ * Khalil Dhantejavi
કવિતાનો જન્મ
અમારી આકાશી ખેતી હતી. સિંચાઈની વ્યવસ્થા નહોતી. પાછોતરો સમયસર ન વરસે તો તૈયાર થયેલી ફસલ નિષ્ફળ જાય. ખેડૂતની કાળી મજૂરી આ રીતે નિષ્ફળ જાય ત્યારે મારા મનમાં આક્રોશ જાગતો. ભરજુવાનીમાં ખખડધજ થઈ જતા ખેતમજૂરો ૫૨ મને દયા આવતી! હું એ વિશે વિચારતો ત્યારે વિચારમાંથી વિચારો ફણગાતા અને હું કેટલું બધું વિચારી નાખતો હતો! ઢોર ચારતાં કે શેઢે ચાર વાઢતાં અચાનક કવિતાની પંક્તિઓ જેવું જ કશું ફણગાવા માંડ્યું! એક પછી એક એમ ચાર-છ પંક્તિઓ આવી. ઘરે જઈને દાદાજીને સંભળાવી. એમને ગમી અને પૂછ્યું ‘ક્યાંથી લાવ્યો? મેં કહ્યું લાવ્યો નથી. મારામાં ઊતરી છે. મારી જ છે!” દાદાજીને ગળે વાત ઊતરી કે નહીં, પણ એમણે કહ્યું, ‘સારી છે. આવી બીજી પંક્તિઓ લખીને મને બતાવજે!” પછી તો રોજ બેચાર પંક્તિઓ આવવા માંડી. મિત્રોને સંભળાવું. મિત્રોને ખૂબ જ ગમે. મારી એ પંક્તિઓમાં ખેડૂતની અને ખેતમજૂરની વ્યથાકથાની અભિવ્યક્તિ જેવું જ કંઈક હોય!
દિવસે બળદનાં રાશપરોણા કે હળનો ડાંડો ઝાલતા, હાથમાં રાતે કલમ આવી જતી. ગામડામાં તો વહેલો સોપો પડી જતો. હું મોડે સુધી ફાનસના અજવાળામાં લખતો. એક ઊંઘ લઈને મા જાગે ત્યારે કહે, ‘ભાઈ હવે સૂઈ જાને, શું કામ ઘાસલેટ બાળે છે?” માની નજરમાં મારું કામ ઘાસલેટ બાળવાથી વિશેષ કંઈ નહોતું !
~ ખલીલ ધનતેજવી
સરસ વાતો ખલિલ સાહેબની જાણવા મળી.
આ બહુ યામી પ્રતિભા ના ધણી ને સ્મૃતિ વંદન.
ખુબ સરસ માહિતીસભર લેખ ખૂબ ગમ્યો
ખૂબજ પ્રેરણારૂપ માહિતી છે.
વડોદરાનું ઘરેણું ખલીલ જી ને સ્મૃતિ વંદન. મને એમની સાથે કવિ સંગીતની બેઠકમાં મારી ગઝલ રજૂ કરવાનો મોકો મળ્યો હતો. બહું આયામી વ્યક્તિ હતા.
ખૂબ ગમ્યું …ધનતેજવીની સર્જનકાળ વિષે….જાણવા મળ્યું , પ્રિય શાયર