અનિલ ચાવડા ~ કોઈ ચિઠ્ઠી

કોઈ ચિઠ્ઠી કામ નહિ આવે, ચબરખી કામ નહિ આવે
જિંદગીના પાઠમાં પેન્સિલ બટકણી કામ નહિ આવે.

બાંય કે રૂમાલથી જાતે જ એને લૂછવાં પડશે,
આંસુ સુકવવા કદી કોઈ વળગણી કામ નહિ આવે.

ડૂબકી ખુદમાં જ મારીને પ્રભુને શોધવાના છે,
કોઈ માળાની કે મણકાની ગણતરી કામ નહિ આવે.

આ વખત પાણી નહિ પણ જિંદગી ડ્હોળાઈ છે મિત્રો,
સ્વચ્છ એને રાખવા માટે ફટકડી કામ નહિ આવે.

સ્હેજ અમથા આંચકે છૂટી જવું કંઈ પ્રેમમાં શોભે?
હોય બંધાવું જ, તો ગાંઠો સરકણી કામ નહિ આવે.

~ અનિલ ચાવડા

રોજબરોજની ચીજો, વ્યવહાર સિવાય શેમાં કામ આવે ? જુઓ, કવિતામાં એને ખપમાં લઈને કેવાં નિશાન સાધ્યા છે કવિએ ! 

9 thoughts on “અનિલ ચાવડા ~ કોઈ ચિઠ્ઠી”

  1. કોઈ ચીઠ્ઠી કામ નહીં આવે…. વાહ કવિ

  2. હરીશ દાસાણી.મુંબઈ

    અનિલ ચાવડાની કવિતાની આ વિશિષ્ટ મુદ્રા છે. રોજિંદી ઘટમાળમાં પણ એ તાત્વિક વાત હળવાશથી મુકી દઇને કવિ સામાન્ય શબ્દને પણ કવિતામાં પ્રયોજી જુદો જ અર્થ પ્રગટ કરે છે.અભિનંદન,અનિલ ભાઇ.

  3. બટકણી ,વળગણી, ફટકડી,.ગણતરી,સરકણી જેવા ગઝલને ઉપકારક એવા લટકણીયા મૂકીને એને વધુ આસ્વાદ્ય બનાવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *