આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન!
આ તે આવે છે તુફાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન!
મારાં સૂનાં છે સુકાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
વહાણ રાખું નાગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
હવે તો થાય છે મોડું વિનવું હું પાયે પડું,
મારે તો થવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
(8.4.1887-21.8.1955)
આપણી ભાષાના ‘હસતા ફિલસૂફ‘ એટલે કવિ, વિવેચક, વિદ્વાન શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક – રા.વિ.પાઠક એવું ઉમાશંકર જોશીએ નોંધ્યું છે. ‘શેષ‘ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી હળવા નિબંધો એમણે આપ્યાં છે.
આપણી અંદરના રામ એટલે કે આતમરામને સંબોધીને લખાયેલું આ ભજન.
‘જાગોજી જાગોજી મારા આતમરામ! વ્હાલા આતમરામ!‘– ‘પોતાની સામાન્ય પ્રાકૃત સ્થિતિથી ઊર્ધ્વ થઇ નિર્ણય કરવાની શક્તિ માણસમાં છે તેને અહીં અંતરાત્મા-આતમરામ કહેલો છે‘ એવી નોંધ પાઠકસાહેબે કરેલી છે.
