રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ ~ દુહા-મુક્તકો & હજીયે ન જાગે * Ramnarayan Pathak
આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન!
આ તે આવે છે તુફાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન!
મારાં સૂનાં છે સુકાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
વહાણ રાખું નાગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!
હવે તો થાય છે મોડું વિનવું હું પાયે પડું,
મારે તો થવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
(8.4.1887-21.8.1955)
દુહા-મુક્તકો
એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ વાટે વિચરવું, કરમ કદી ન લખીશ.
*
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,
એકલ જગનિન્દા સહે, એ મરદોને રંગ!
*
એકલ ભલાં તપસ્વીઓ, રસિયાં ભલાં જ હોય,
બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ ન હોય.
*
સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યું શું જાય?
(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.
*
તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ ન કશીયે વાત,
એ કળજુગની જાત, શાણા સમજે સાનમાં
*
મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,
જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ‘ (8.4.1887-21.8.1955)
આપણી ભાષાના ‘હસતા ફિલસૂફ‘ એટલે કવિ, વિવેચક, વિદ્વાન શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક – રા.વિ.પાઠક એવું ઉમાશંકર જોશીએ નોંધ્યું છે. ‘શેષ‘ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી હળવા નિબંધો એમણે આપ્યાં છે.
આપણી અંદરના રામ એટલે કે આતમરામને સંબોધીને લખાયેલું આ ભજન.
‘જાગોજી જાગોજી મારા આતમરામ! વ્હાલા આતમરામ!‘– ‘પોતાની સામાન્ય પ્રાકૃત સ્થિતિથી ઊર્ધ્વ થઇ નિર્ણય કરવાની શક્તિ માણસમાં છે તેને અહીં અંતરાત્મા-આતમરામ કહેલો છે‘ એવી નોંધ પાઠકસાહેબે કરેલી છે.
પ્રતિભાવો