રમેશ પારેખ ~ આયનામાંથી કશોયે & * Ramesh Parekh
અર્થ નીકળતો નથી
આયનામાંથી કશોયે અર્થ નીકળતો નથી
ને પ્રતિબિંબે પૂછેલો પ્રશ્ન પણ ટળતો નથી
એકધારી વાતનું કોઇ તો વિષયાંતર કરે
હું મને કહું છું અને તે હું ય સાંભળતો નથી
ભરબપોરે વિસ્તરી ગઇ છે અહીં કેવી અમાસ
મારો પડછાયો હું શોધું છું અને મળતો નથી
હાથ આખોયે સમયના સૂર્યમાં પીગળી ગયો
હસ્તરેખાનો બરફ આ છે કે પીગળતો નથી
મેં ભરેલા શ્વાસની લંબાઇ ત્યાં લાવી મને
જ્યાં ઊગેલો સૂર્ય રાતે પણ કદી ઢળતો નથી
સાફ બેહદ થઇ ગઇ છે દૃષ્ટિઓ મારી હવે
કોઇ કિસ્સો સ્વપ્નમાં પણ આંખને છળતો નથી.
~ રમેશ પારેખ
I have The Poem અર્થ nikdto નથી