પન્ના નાયક ~ ઘર * Panna Nayak
આ મારું ઘર
એમાં ઘણી હતી અવરજવર, દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?
હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?
~ પન્ના નાયક
મન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે? આખા અસ્તિત્વમાં તિરાડો પડે ત્યારે દિવાલોની ઝીણી તિરાડો નજરે ચડે છે. ‘આ ઓરડાને બારી બારણાં હતા ?’ આગ લગાડી દે એવો પ્રશ્ન !
ખૂબ જ સરસ અભિવ્યક્તિ, એકલતા સાથે, જીવનભર ઘરમાં પુરાયેલ વેદના.