કૃષ્ણ દવે ~ ભૂકંપ * Krushna Dave

પ્રેમ….ભૂકંપ (તુર્કી,સિરીયા)

ભૂકંપ કંપી ઉઠયો ને કાઈનાત રોઈ

જીવન બચાવવાની બાળકની જીદને જોઈ

ત્યાં કાટમાળમાંથી શોધીને શ્વાસ આપે

એ હાથને ચૂમી લો જેણે ધીરજ ન ખોઈ

તારે તો ઝલઝલા થઈ દફનાવવા’તા સૌને

તો પણ બચી ગયા ને એમાંથી કોઈ કોઈ 

લીરેલીરાં ઉડાડે પણ સીવવા ફરીથી

નીકળી પડે છે કાયમ દોરો ને એક સોઈ

આજે ભલે ને ગુમસુમ ભાંગી પડયું છે આંગણ

કાલે ફરીથી રમતું થાશે એ નાહી ધોઈ.

કૃષ્ણ દવે (તા-14-2-23)

હૃદય હચમચાવી દેતી તત્કાલીન ઘટના પરનું કાવ્ય. તુર્કી, સિરીયામાં આવેલા ભૂકંપનો વિનાશ તો આપણે છાપામાં વાંચીએ છીએ. આવી હોનારતોમાં માનવતા અકલ્પ્ય સ્વરૂપે પ્રગટી ઉઠતી હોય છે અને એની રજૂઆત કેટલી નાજુકાઈથી થઈ છે ! ‘નીકળી પડે છે કાયમ દોરો ને એક સોઈ’

6 Responses

  1. નાશાદ says:

    સંવેદનશીલ રચના

  2. ખુબજ સંવેદનશીલ રચના હદય દ્નાવક અભિવ્યક્તિ સાથે માનવતા ની મહેક

  3. Minal Oza says:

    તીવ્ર સંવેદના અભિવ્યક્ત થઈ છે. લીરેલીરા, દોરો ને આંગણ કાલ સવારે રમતું થઈ જશેની આશા , આટલા દુઃખ વચ્ચે પણ મનને બળ આપે છે. કવિને સલામ.

  4. Jayshree Patel says:

    ખૂબ જ સંવેદનશીલ રચના 🙏

  5. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    સંવેદનશીલ કવિશ્રી કૃષ્ણ દવેની ભાવસભર અંજલિ….

    કુદરત આગળ માણસ પણ જ્યાં વામન
    અહીં કોણ કોનો થામશે પછી દામન

  6. કવિ શ્રી કૃષ્ણ દવેની કવિતાઓ હંમેશાં સંવેદનાથી તર હોય છે, આ રચના પણ એવી જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: