ઉષા ઉપાધ્યાય ~ હું જન્મી
હું જન્મી
ત્યારે છઠ્ઠીના દિવસે
નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી
હોંશે હોંશે કાજળ પાડી
મારી આંખમાં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરીને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું
આજે આ ઢળતી સાંજે
આગજનીમાં બળીને કાળામેશ થઇ ગયેલાં
મારાં શહેરનાં મકાનોને જોતાં થાય છે
કોની છઠ્ઠી માટે પડાઇ હશે
આટલી બધી મેશ ? ….
~ ઉષા ઉપાધ્યાય
કવિતાનો મુદ્દો છે આગમાં બળી-ઝળી ગયેલાં કાળામેંશ થઇ ગયેલા ઘરોને જોઇને જાગેલી સંવેદનાનો. ઘરની અંદર રહેનારાં બચી ગયાં હોય તો પણ, જેનાં પોતાનાં આ ઘર છે એમના માટે આ કેટલી ભયંકર દુર્ઘટના છે. ઘર એમાં રહેનારાઓનું સ્વજન હોય છે, હાશ હોય છે, હૂંફ હોય છે. એને બળતું જોવા જેવી બીજી કપરી પીડા કઇ ? અજાણ્યું માનવી પણ આ જોઇને કમકમાટી અનુભવે ત્યારે સ્ત્રી માટે, ઘર સાથે એક વિશેષ અનુબંધ ધરાવતી સ્ત્રી માટે આવું દૃશ્ય વધારે પીડાકારી બની રહે !
સાભાર : 1. ‘જળબિલ્લોરી’ 2. ‘શ્યામ પંખી આવ આવ’ કાવ્યસંગ્રહો
15.12.20
Purushottam Mevads.Saaj
13-04-2021
કવિયત્રી ઉષાજીની કવિતામાં છઠ્ઠી ના શુભ પ્રસંગ સાથે જે બળેલાં મકાનનો સંદર્ભ મને યોગ્ય નથી લાગતો. એમણે બીજા કોઇ સંદર્ભે લખ્યું હશે?
બાળકીની છઠ્ઠીનો પ્રસંગ ને બળતા કાળાં મશ ઘરોને જોઈને કવયિત્રીને થતી સંવેદના..કોઈ ગડ બેસતી નથી.. ઉષાબહેન જ એનો સંદર્ભ સમજાવી શકે.
બાકી છઠ્ઠીને દિવસે તાંબાના તરભાણામાં મેશ પાડવાની વાત મજાની છે. (મીનળ ઑઝા)