અનિલ ચાવડા ~ આનંદ પજવશે * Anil Chavda
આનંદ પજવશે ~ અનિલ ચાવડા
આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.
તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.
બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.
છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.
મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.
~ અનિલ ચાવડા
ગાંધીજી સાથે ઘટેલી એક ઘટના. કોઈ એમને છરો લઈને મારવા આવેલો. ગાંધીજીએ પૂરા મૈત્રીભાવથી એને સાથે ચાલવા આવવા કહ્યું અને પોતે એને લઈને એકલા જ ગયા. એમને જાણ પણ હતી કે આ વ્યક્તિ શા માટે આવ્યો છે ! અને પેલો મારનારો હતપ્રભ થઈ ગયો. ન છરો ઉગામી શક્યો, ન કાંઇ કરી શક્યો. બાપુને વંદન કરી ચાલતો થયો ! ત્રીજા શેરમાં કવિ કંઈક આવી જ વાત કરે છે ને !
તમામ શેર સુંદર… છેલ્લો નખશીખ સુંદર… શેર મોતીના દાણા જેવો ! વાહ કવિ !
OP 25.3.22
સાજ મેવાડા
25-03-2022
વાહ, સુંદર ગઝલ.
છબીલભાઈ ત્રિવેદી
25-03-2022
કવિ અનિલ ચાવડાની રચના ના બધાજ શેર ખુબ ગમ્યા આવા કાવ્યો અે કાવ્ય વિશ્ર્વ ની સફળતા છે
પ્રતિભાવો