મનીષા જોષી ~ હા, હા, એ માણસ * મને ઝરૂખામાં બેસાડો * Manisha Joshi

ગોઝારી વાવ

હા, હા, એ માણસ જીવે છે હજી,
એના ઘ૨માં
, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં
એના પર ફરી વળે છે

અને હું બાજુમાં
શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.

તો ક્યારેક એની લાશ
રેલવેના પાટા વચ્ચે મળી આવે છે

અને હું
એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં

મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને
ગાંઠ મારતી હોઉં છું

અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ
કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે

અને હું
એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

~ મનીષા જોષી

સામ્રાજ્ય

મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે
હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.

બધા જ ગુપ્તચરો
પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.

જોકે આમ પણ
હું ક્યાં કશું જીતવા માગતી હતી
?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં
સાચા હીરા ઝગમગી રહ્યા છે.

જે હવે થોડી જ વારમાં
મારે ચૂસી લેવા પડશે.

પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા
આ અગણિત ખંડો

જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા,
મારા પૂર્વજોએ શિકાર કરેલા

ભયાનક સિંહ વાઘ,
જે મસાલા ભરીને મૂકી રાખેલા છે

એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

~ મનીષા જોષી

સ્ત્રી હદથી વધારે પીડાય ત્યારે એ પુરુષને છેલ્લા શ્વાસ સુધી માફ નથી કરી શકતી…. કદાચ….. આ નાયિકા  પુરુષને જુદી જુદી રીતે મરતો જોવાની કલ્પના કરીને સંતોષ મેળવે છે. અહીં સંતોષ જરા જુદી રીતનો છે. પુરુષની અત્યંત રિબામણી અને એ દૃશ્ય નાયિકાએ શાંતિથી જોવાનું. આવું એને વારંવાર જોઈએ છે એટલે જો પુરુષ ખરેખર મરી જાય તો વાત પૂરી થઈ જાય એટલે એ યમરાજ કરગરે તો પણ નાયિકા એને સોંપવા તૈયાર નથી.

થોડી બીજી વાત. કવિતા સિવાયની. મનોવૈજ્ઞાનિકો કહે છે કે બીજાને પીડા આપવાના વિચાર તમને પીડયા વગર રહે નહીં. ઊલટુ એ તમને પહેલાં પીડે. એટલે ભૂલી જાઓ અને માફ કરો. એની સામે એ પણ ખરું જ ને કે ‘જેણે વેઠયું હોય એ જાણે કે કેમ ભૂલાય !!’

આપણે તો કવિતા જ જોઈએ……. અને ખાસ તો કવિના કલ્પનોની તીવ્રતા જોઈએ….

7 Responses

  1. ઉમેશ જોષી says:

    બન્ને રચના જીવન દર્શન કરાવે છે.

  2. એક સ્ત્રીની અભિવ્યક્તિ આટલી તિવ્ર વેદનામય હોય છે, આને એ કવિતા માં ઉતરે ત્યારે ચોંકી જવાય! બંને રચનાઓ અદ્ભૂત છે.

  3. કંચનભાઈ અમીન says:

    મનીષા જોષીની રચનામાં Ecxe||ent વિરોધાભાસી સહોપસ્થિતી – – ખૂબ મર્મગામી મનોવિશ્લેષણ – – બંને રચનાઓમાં મર્મગામી અભિવ્યક્તિ

  4. Minal Oza says:

    પીડિત વ્યક્તિની વેદનાને વાચા આપતી બંને રચનાઓ છે.
    કવિતાની શૈલીની દૃષ્ટિએ જ તપાસવી રહી.

  5. બંને રચના અત્યંત હ્રદયસ્પર્શી 👌👌

  6. હ્રદયસ્પર્શી રચનાઓ

  7. વહીદા ડ્રાઈવર says:

    બંને શિરમોર રચના
    પરાવાસ્તવવાદની રચનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: