વર્ષા દાસ ~ વહેલી સવારે * Varsha Das
વહેલી સવારે
વૃક્ષ પરથી ખરે
એક-એક-એક પારિજાત
જાણે ત્યજ્યાં
તમામ વળગણ
બીજી સવારે ફરી
કેસરી દાંડીએ
મઘમઘતો મોહ !
– વર્ષા દાસ
વહેલી સવાર અને જમીન પર વેરાયેલા કેસરી દાંડીવાળા પારિજાતની કલ્પના પણ નરી પ્રસન્નતા વેરે છે. આવું સરસ વર્ણન મૂકીને કવિએ જીવનની અસારતા વેરી દીધી છે અને તોય મનનો ફરી એ જ મોહ ચિત્રિત કર્યો છે. આજે પાનખર છે પણ ફરી વસંતની ડાળીએ વળગવાનું જ છે. કોઈ માણસ એવો નથી જે મૃત્યુની સચ્ચાઈ નથી જાણતો. અને છતાંય કાલે મૃત્યુ આવી શકે એનું ધ્યાન રાખીને આજે જીવતો હોય એવો માણસ ભાગ્યે જ ક્યાંક મળે ! આજે કશાકથી વળગણ છૂટે છે તો કાલે ફરી એ જ મોહપાશમાં જીવન વીંટળાય છે. ‘સ્મશાન વૈરાગ્ય’ અમથું કહેવાયું હશે ?
મુખ્યત્વે વાર્તાકાર અને કવયિત્રી, વર્ષા દાસ એ લાભુબહેન અને મોહનલાલ મહેતા ‘સોપાન’ના પુત્રી. માતા અને પિતા બંને જાણીતા સાહિત્યકાર તો કર્મશીલ અને વિખ્યાત અભિનેત્રી નંદિતા દાસ એમના પુત્રી. આમ સાહિત્ય અને કલાનો વૈભવ વારસો એમની રગરગમાં વહે. ‘વર્તમાનમાં જીવો’ – સૂત્રને દિલથી માનનારા વર્ષાબહેન માત્ર સાહિત્ય જ નહીં ; ચિત્ર, શિલ્પ અને નૃત્ય સંગીતમાં પણ ઊંડો રસ ધરાવે છે અને આઠ-આઠ ભાષાઓ પર એમનું પ્રભુત્વ છે એય કેટલું ગૌરવભર્યું.
9.12.20
Purushottam Mevada, Saaj
13-04-2021
કવિયત્રી વર્ષા દાસે થોડા શબ્દોમાં જીવનનો, પ્રકૃતિનો નિયમ સમજાવી દીધો છે. ખૂબ સરસ.
પ્રતિભાવો