ન્હાનાલાલ ~ મ્હારાં નયણાં * Nhanalal
મ્હારાં નયણાંની આળસ રે ~ ન્હાનાલાલ
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
– ન્હાનાલાલ
હૃદયના ઊંડાણમાંથી આવતા પ્રાર્થનાના શબ્દો.
કવિ ન્હાનાલાલના જન્મદિને સ્મૃતિવંદના સહ…
OP 16.3.22
*****
આભાર
22-03-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
16-03-2022
કવિ શ્રી ન્હાનાલાલ નુ પ્રાર્થના કાવ્ય ખુબજ ગમ્યું કવિ ના ભાવો અદભુત રીતે વ્યક્ત થયાછે જન્મ શતાબ્દી અવસરે કવિ શ્રી ને વંદન
સાજ મેવાડા
16-03-2022
સચરાચરમાં વ્યાપેલા એ વિરાટના અસ્તિત્વને ઉજાગર કરતી ભક્તિમય રચના.
પ્રતિભાવો