ન્હાનાલાલ ~ મ્હારાં નયણાં * Nhanalal

મ્હારાં નયણાંની આળસ રે ~ ન્હાનાલાલ

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.

સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?

નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.

– ન્હાનાલાલ

હૃદયના ઊંડાણમાંથી આવતા પ્રાર્થનાના શબ્દો.

કવિ ન્હાનાલાલના જન્મદિને સ્મૃતિવંદના સહ…

OP 16.3.22

*****

આભાર

22-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

16-03-2022

કવિ શ્રી ન્હાનાલાલ નુ પ્રાર્થના કાવ્ય ખુબજ ગમ્યું કવિ ના ભાવો અદભુત રીતે વ્યક્ત થયાછે જન્મ શતાબ્દી અવસરે કવિ શ્રી ને વંદન

સાજ મેવાડા

16-03-2022

સચરાચરમાં વ્યાપેલા એ વિરાટના અસ્તિત્વને ઉજાગર કરતી ભક્તિમય રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: