અનિલ જોશી ~ અઘોર યાતનામાંથી પ્રસવતી

અઘોર યાતનામાંથી પ્રસવતી
નવજાત સ્વતંત્રતાની આંખ
ખૂલી ન ખૂલી ત્યાં
સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.

યાતનાનું તરફડવું અને બરફનું ઓગળવું
એટલે ગંગા થઈ જવું.
શિશિરના હૂંફાળા તડકામાં
ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ
ગંગાનાં પાણીમાં પડ્યું
ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.
ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં
ને એ તૂટતાં વર્તુળોમાં
અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.

અમે નાના હતા ત્યારે
ચોપડી વાંચતાં વાંચતાં
પાનું ભૂલાઈ ન જાય એ માટે
ચોપડીમાં મોરપીંછ રાખતા
તો ક્યારેક વળી
સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.
આજે મોટા થયા છીએ ત્યારે
ઈતિહાસનું પાનું યાદ રાખવા માટે
અમે કારતૂસો રાખીએ છે.

~ અનિલ જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *