કૃપા બસ એટલી ઇશ્વર થવા દે
તું મારા ઘરને મારું ઘર થવા દે.
નવો કંઇ ખેલ જાદુગર થવા દે
સઘન અંધકાર છૂમંતર થવા દે
પવન, આ જ્યોતની ઉંમર થવા દે
જરા અજવાસ પણ પગભર થવા દે.
દુવા માંગુ કે મારા કદ પ્રમાણે
કદી તો માપસર ચાદર થવા દે.
બધાં સુખદુખ મને મંજૂર છે પણ
બધું સરખું ને માફકસર થવા દે.
ઘણી મહેનત કરી છે જિંદગીમાં
હવે પરસેવાને અત્તર થવા દે.
મને પણ પૂજશે લોકો યકીનન
મને પણ પીર કે પથ્થર થવા દે
મને ડર છે કોઇ તફડાવી જાશે
ગઝલ પર મારા હસ્તાક્ષર થવા દે.
ખલીલ ઇચ્છાઓ ગાંડીતૂર થઇ છે
કઇ રીતે કોઇ સરભર થવા દે.
~ ખલીલ ધનતેજવી (12.12.1935 – 4.4.2021)
