🥀🥀
કૈંક અપવાદો નિયમ થઈ જાય છે,
સત્યનો ચહેરો સતત બદલાય છે.
દોડતા રસ્તાના પગ લથડ્યા હશે?
કે પછી કિસ્સો અહીં ફંટાય છે?
જે સમજની કૂખથી જન્મી હતી,
એ સમસ્યા પુખ્ત વયની થાય છે.
આપણા સંબંધ કહેવત પર ગયા,
તેર તૂટે એક જ્યાં સંધાય છે.
સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
કારણો કારણ વિના અકળાય છે.
~ કુણાલ શાહ
મત્લાના શેર તરત સ્પર્શી જાય એવો. જુઓ, અહીં વાત સત્યના બદલાવાની નથી. સત્યનો ચહેરો જે પહેરીને ફરે છે વાત એની છે. કેમ કે આ ચહેરો બદલાતો રહે છે.
સમજ અને સમસ્યાને જે અનુબંધથી કવિએ જોડી છે એ ગમી જાય એવી વાત છે. સમજની કૂખથી સમસ્યા જન્મે ? હા, કેમ કે સમસ્યા જ્યાં બે વ્યક્તિ હોય ત્યાં થાય અને બંનેમાં સમજ આછીપાતળી થાય એવું બનતું રહે છે.
