નથી
તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી
ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી
એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી
સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી
તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.
~ સુરેન્દ્ર કડિયા
આંખ ખોલો ને કુદરત ચારે બાજુ દિવ્યતા વેરીને બેઠી છે. છતાં જેને દિવ્યતાનો અનુભવ જેને ન થાય એને શું કહી શકાય ? ભીડમાં એકલતા અનુભવનારા અનેક હશે. તો કવિતા કોઈ આગાહી વગર અવતરે છે એનોય સાચા કવિને અનુભવ હોય જ. અને છેલ્લા શેરમાં ‘ચાહ’ શબ્દ બંને અર્થમાં મૂકીને કવિએ સરસ ભાવદર્શન મૂક્યું છે!
