હું વિઠ્ઠલવરને વરી
સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી
હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી
એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે.
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી !
વરી હું વિઠ્ઠલવરને વરી.
~ હરિકૃષ્ણ પાઠક
કવિના જન્મદિને સ્નેહવંદના
