પ્રફુલ્લ પંડ્યા ~ નથી કહેવા જેવું * Prafull Pandya

નથી કહેવા જેવું ~ પ્રફુલ્લ પંડ્યા

નથી કહેવા જેવુંય કશું જીભમાં !
જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાય એ જ કારણે,
ડગમગતાં સપનાઓ આવે ને જાય, આંખ ખૂલતી ન્હોતી કોઈ સંભારણે !
વરસો તો ઠીક અહીં સદીઓ વીતી છે એક પોતાની સામેની જીદમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

જીદના મુકામ પૂરાં થાય નહીં કેમ કરી, કેમ કરી ગાંઠોને છોડવી ?
કેમ કરી છોડાવવા અઘરા સવાલ, અને કેમ કરી દિવાલો તોડવી ?
નથી તોડવા જેવું ય કશું તીરમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

પ્રફુલ્લ પંડ્યા

“કશું જ કહેવા માટે રહે નહીં તે પછીનો શબ્દ કદાચ કવિતાનો શબ્દ છે. કવિ મૌન સાધી લે છે અને શૂન્યમાં સરી પડે છે. આમ પણ શબ્દ બ્રહ્મ છે. શબ્દ ખરેખર તો આકાશનું સંતાન છે અને એમ એ શૂન્યમાંથી જ જન્મે છે. માણસનું હ્રદય અને મન દોડી દોડીને જીભ ઉપર આવે છે. જયારે મોટી અતંત્રતા ઊભી થાય અને જીભ લોચાઓ વાળવા મંડે તે પછી શબ્દો-અર્થોની મોટી ઉથલપાથલ શરૂ થઈ જાય છે અને શબ્દો તેનાં બીજમાંથી બહાર નીકળી જાય છે. એ પછી માણસનું શું થાય છે? જીવન ક્યાં ક્યાં આંટાઓ મારીને પોતાની જ જાત અને જીદ સામે આવીને ઊભું રહી જાય છે. બસ પછી માત્ર થોડાંક ખૂલાસાઓ મળે છે જીવનનાં આંટાફેરાઓના!  ઈચ્છા,સપના, મંઝિલ – મુકામની પસાર કરેલી યાત્રા આછીપાતળી શબ્દાંકિત થઈ શકે છે. જીવનના અઘરા સવાલ છૂટી શકતા નથી અને મૂંઝવણની દીવાલોને તોડી શકાતી નથી. જીભના લોચાંને કારણે તીર સાથે તોડવાની શક્તિ પણ તૂટી જાય છે!” – પ્રફુલ્લ પંડ્યા

જ્યારે કવિ પોતાની કવિતાને ખોલીને બેસે ત્યારે ભાવક એની ગલી-ગૂંચીઓને વધારે સારી રીતે પામી શકે છે. – સંપાદક

OP 15.10.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: