દેશળજી પરમાર ~ બે કાવ્યો * Deshalji Parmar  

🥀 🥀

આજ મારી આંખડીએ અજંપો
કે ઊગ્યો રાજચંપો
આજ મારી કીકીએ પાંપણપંખો,
કે ખીલ્યો રાજચંપો.

પાંચ પાંચ પાંખડીમાં વાસભરી હેલી,
વર્ષાકન્યાની જાણે ઊઘડી હથેલી;

હાં રે એનો ક્યાં રે ગયો દેવમાલી?
કે ઊગ્યો રાજચંપો
હાં રે કોણ પૂરે ખાલી ફૂલડાલી?
કે ખીલ્યો રાજચંપો.

અંગનાં અનંગ —ઘેન ચાંપલિયે નીતરે,
ચંપાનો દેવજ્યોતિ લોચનિયે ઊતરે
આજ મારી આંખડીએ અજંપો
કે ઊગ્યો રાજચંપો
આજ મારી કીકીએ પાંપણપંખો
કે ખીલ્યો રાજચંપો!

~ દેશળજી પરમાર (13.1.1894 – 12.2.1966)

જન્મ સોરઠના સરદારગઢમાં. ગોંડલમાં અવસાન. ‘ઉત્તરાયણ’ (૧૯૫૪) એમનાં પ્રતિનિધિ કાવ્યોનો સંચય છે. ગીત, સૉનેટ, દીર્ઘકાવ્ય, મુક્તકોમાં એમનું અર્પણ.

🥀🥀

ભમો ઝંઝાવાતો,
ખમો વજ્રાઘાતો, હૃદય પળ ના દુર્બળ કરો;
તમારાં માર્ગોમાં અધિક બળિયું પૌરુષ ભરો;
નખશિખ નિરાશા પરહરો.
યુવાનો સત્કર્મે
પ્રજાના આદર્શે પ્રગતિભર ઉદ્ધાર સજશે,
પ્રયાણોના પંથે વિશદ પુનરુત્થાન ભજશે;
શિવ સ્વરૂપ સૃષ્ટિ સરજશે.
ઊગેલાં સ્વપ્નોનું,
અધૂરા યત્નોનું જતન કરવા જાગ્રત રહો,
નવા સંસ્કારોનું મધુર ગરવું ઓજસ વહો;
પરમ પ્રભુ-આદેશ ઊચરો.
મહા હેતુ માટે,
મહા સિદ્ધિ માટે અડગ દિલથી અંત મથવું,
ગ્રહીને સંજોગો જગ સકળને શોધી વળવું;
અખૂટ ઊલટે લક્ષ્ય રળવું.
ઊંડા આંતર્નાદે,
ઊંચા આશાવાદે યુવકજન હો ! રાષ્ટ્ર રચવું,
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું;
અમર ઈતિહાસે ભળી જવું.

~ દેશળજી પરમાર (13.1.1894 – 12.2.1966)

posted 10.2.2025

2 Responses

  1. સરસ ગીત, ગમ્યું.

  2. વાહ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: