રશીદ મીર ~ પળપળનો ઈંતઝાર

એવું પણ બને

પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.

સપનામાં ઊંઘતા જ કરી લીધું જાગરણ,
આવી દશા તમોને મળે એવું પણ બને.

આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે એવું પણ બને.

સૂરજની ગતિનો ભલે મોહતાજ હો સમય
તું જ્યારે ચહે રાત ઢળે એવું પણ બને!

ફૂલોની ઠેસ કેટલી કોમળ અને છતાં,
વર્ષો પછીયે કળ ના વળે એવું પણ બને.

આ ભાનની કક્ષાને વટાવી તો જવા દે,
એક જામમાં બ્રહ્માંડ ભળે એવું પણ બને.

બસ એક મુલાકાત પરિચય નથી ખરો,
એ મળતા-મળતા ‘મીર’ હળે એવું પણ બને.

~ રશીદ મીર (1.6.1950 – 11.5.21)

મનોજ ખંડેરિયાની યાદ અપાવતી પણ જુદી જ ગઝલ.

કવિની ચેતનાને વંદન  

11 thoughts on “રશીદ મીર ~ પળપળનો ઈંતઝાર”

  1. ગઝલ એના મિજાજને બરાબર વહન કરે છે.વંદન.

  2. રતિલાલ સોલંકી

    ડૉ.રશીદ મીર સાહેબની પરમ ચેતનાને વંદન.એમની સાથે કરેલી સભાઓ આજે પણ સ્મૃતિમાં છે.

  3. શ્વેતા તલાટી

    મારાં ગુરુ તુલ્ય ડો.રશીદ મીર સાહેબ.
    ધબક મેગેઝિન, નવોદિતોને પ્રોત્સાહન, બુધસભાનું સંચાલન ખૂબ સરસ રીતે…

    વંદન 🙏🙏

  4. મીર સાહેબ નવોદિતોને પ્રોત્સાહન આપી સારું લખવા પ્રેરતા. બુધસભામાં આવનાર કવિઓની રચના સાભળી માર્ગદર્શન આપતા. એમના જવાથી વડોદરા કવિ આલમને મોટી ખોટ પડી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *