
‘કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે!
આસપાસ દર્પણનો આભાસી તડકો
તું સૂરજના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડઘાતી દૂરતા નેવાંની ધારમાં
ધોધમાર રોજ કોઈ વરસે!
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે !
રોજ રોજ આંખ્યુંમાં મળવાનાં પંખીઓ
ઈચ્છાનું આભ લઇ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય જાણે
શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી કોઈ
ફૂંકો તો ગોકુળ સળવળશે
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે !’
~ વીરૂ પુરોહિત
મુખડામાં એક જ પંક્તિ, ‘કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે!’ રૂંવાડેથી છેક અંદર સુધી ઊતરી જાય એવું આ સ્પર્શનું સંવેદન, કેટલી સહજ રીતે બે પ્રેમીઓની વાર્તામાં વણાઈ ગયું છે!
એમ થાય કે ‘આવું તો આ કવિ જ લખી શકે’ એ કક્ષામાં મૂકી શકાય એવી અંતરાની આ પંક્તિ ‘રોજ રોજ આંખ્યુંમાં મળવાના પંખીઓ ઇચ્છાનું આભ લઈ આવતા….’ તો એના પછીની પંક્તિ ‘આપણાં સંબંધ સખી એવા કહેવાય જાણે શીર્ષક વિનાની કોઈ વારતા’ હૈયામાં એક મીઠ્ઠા સંબંધનો મહાસાગર ભરી દે !
સ્પર્શની અનુભૂતિ જ હોય… વાહ સરસ રચના.
ખૂબ જ સરસ ગીત કાવ્યો